મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .
અનાવિલોનાં લુપ્ત થતાં ગામડાં -- મમતા તેજસ નાયક
અનાવિલોની ઓળખ તેના મૂળ વતનના ગામની રહી છે . દુનિયાની કોઈપણ જગ્યાએ વસવાટ કરતો હોય તોપણ દરેક અનાવિલને પૂછાતો પ્રથમ પ્રશ્ન એ હોય છે કે “તમે ક્યાંના ?” એ ગામડાઓ આજે તૂટી રહ્યાં છે , અનાવિલ ગામો તરીકે ઓળખાતા ગામોમાં પણ અનાવિલોની વસ્તી ઘણી ઓછી થઈ રહી છે . એના કારણો તથા ભવિષ્ય અને આપનું મંતવ્ય .
અનાવિલો પરશુરામની ભૂમિ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતના વાપીથી તાપીના પ્રદેશમાં વસવાટ કરતાં અને આજની તારીખમાં પણ આ વિસ્તાર “અનાવલાઓના વિસ્તાર “ તરીકે ઓળખાય છે. આ ઓળખ એમના મૂળ વતનના ગામથી રહી છે. ગામડા અને અનાવિલ જ્ઞાતિ પ્રથાએ ભૂતકાળમાં સામાજિક બંધારણને ટકાવી રાખવા અગત્યનો ભાગ ભજવ્યો તેમજ પોતાના સમૂહને સમૃધ્ધ બનાવવામાં ઘણો ફાળો આપ્યો છે .
આપણા વડીલોની શિખામણ “ ગામમાં ઘર અને સીમમાં ખેતર હોવું જોઈએ “ એ ટૂંકમાં ઘણું કહી જાય છે જેની પાછળ એ ભાવના હતી કે આપની અસ્મિતા અને ગામડાનો વારસો જળવાઈ રહે .
મંદિરમાં થતી આરતી , દેવીદેવતાઓની જન્મજયંતી અને પાટોત્સવ, સારા નબળાપ્રસંગો ,ચોકમાં રમાતી ગરબાની રમઝટ જેની સામે ડીજે સંગીત પણ ફિક્કું લાગે , રામલીલા , ઘોર , કઠપૂતળીના ખેલ , દિવાળીના મેરિયા જેવી પરંપરાઓ તેમજ પેશવારાજ , અંગ્રેજો અને ફિરંગીઓ જેવા પરદેશીઓના રાજના સાક્ષી બનેલા આપણા દરેક ગામ “ આદર્શ ગામ” ની વ્યાખ્યામાં બેસે એવા હતા. એક સમયે શહેરમાં રહેતા લોકો વેકેશનમાં પોતાના ગામમાં રહી એટલો આનંદ માણતા કે હવા ખાવાના કે ફરવાના સ્થળોએ જવાની જરૂર જ નહતી પડતી .
કીંઆયડાં (કિયારડા ), વાડી વજીફા , વાડા , મહેલ જેવા મોટા ઘર આજે સૂના છે અને જાણે અનાવલા પાછા આવે એની રાહ જોય છે .
સમયચક્ર એવું ફર્યું છે કે આપણા અસ્તિત્વની ઓળખસમા આ ગામડાઓ ઓક્સિજન પર છે અને “Identity crisis “ની અવસ્થામાં પસાર થઈ રહ્યા છે . જાણે કે આપણું ગામ આપણું ન રહેતાં બીજા ધણી બની બેઠાં , બીજું જે ઘણું બચ્યું છે તે પણ હવે વેચવાની હોડમાં છે.
આ પરિવર્તન અચાનક નથી આવ્યું પણ ધીમે ધીમે ઘણા પરિબળો કામ કરી ગયા . જેમકે ,
પાયાની સુવિધાઓનો અભાવ :- સારા રસ્તા, વીજળી ,સ્વચ્છ પાણી ,આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ તેમજ પરિવહનની સુવિધાઓનો અભાવને લીધે ઘણી અગવડો થતી .
કૃષિસંકટ :- ડાંગર , વાલ , તુવેર ,ચણાના ખેતરો તેમજ કેરી ,ચીકુ ,શેરડીની વાડીઓથી સમૃદ્ધ એવા ગામડાઓમાં ધીમે ધીમે અપૂરતી સગવડો ,મજૂરોના અભાવ , પારડી તાલુકામાં આવેલ GIDC ની ફેક્ટરીઓના લીધે ઘણું પ્રદૂષણ ફેલાયું તેમજ સિંચાઇની અપૂરતી સગવડો જેવા કારણોને લીધે ઉત્પાદકતા ઘટી અને કૃષિ સંકટ આવ્યું .
શહેર તરફ સ્થળાંતર :- રોજગારી ,આરોગ્ય , ઉચ્ચ શિક્ષણ , વગેરે તકો શહેરમાં સારી હોવાથી ગામડાની વસ્તી અડધોઅડધ ઘટી અને આર્થિક પ્રવૃતિઓમાં ઘટાડો થયો . અને તેઓ મુંબઈ , સુરત જેવા શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા .
સામાજિક અને આર્થિક પરિબળો :- મનોરંજનના સ્થળો , રેસ્ટોરાં , પિક્ચર તેમજ અન્ય મનોરંજક પ્રવૃતિઓનો આનંદ માણવા માટે શહેરોમાં રહેવાનું વધારે પસંદ કરવા લાગ્યા . તે સિવાય એક કરતા વધારે રહેઠાણ ,દેખાદેખી વગેરે પરિબળોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો .
અનાવિલોની ઘટતી જતી વસ્તી :- હમણાના ઘણા કુટુંબમાં એક અથવા બે જ સંતાનો હોય, એમાં પણ 10 માંથી 7 લોકોને તો USA, Europe વગેરે foreign country માં વસવાટ કરવો છે . હવે જો યુવા પેઢી પોતાના દેશમાં જ ણ રહેતી હોય તો ગામડામાં વસવાટની વાત જ ક્યાં કરવી .
છતાં પણ હજુ એવા ઘણા ગામો છે જયાં 80% ઘર ખુલ્લા છે અને નવી પેઢી પણ એજ ગામમાં રહી પ્રગતિ કરે છે . હાલમાં શહેરમાં રહેતા ઘણા લોકો પ્રસંગોપાત તેમજ ઉત્સવોમાં સહભાગી થવા પોતાના ગામમાં આવી રહે છે અને યુવા પેઢી પણ એમાં સહભાગી થાય છે અને એમને પણ પોતાના ગામ માટે ગર્વ છે . એટલે આશા છે કે ફરી પાછા ગામડારૂપી ફેફસાંમાં પ્રાણવાયુ પુરાશે અને એ સમૃધ્ધિ પાછી આવશે .
મારા મંતવ્ય પ્રમાણે જે અનાવિલ જ્ઞાતિ અને ગામડાઓએ આપણને અસ્તિત્વની ઓળખ આપી છે તો એ સંસ્કૃતિ જીવંત રાખવા આપણે શરૂઆત કરવી પડશે અને એ ઋણ ચૂકવવા પ્રયત્ન કરવા પડશે . જેમકે ,
પ્રસંગોપાત , વેકેશનમાં બાળકો સાથે ગામની મુલાકાત અવશ્ય લેવી અને રહેવું .
બાળકોને નાનપણથી આપણા સમૃદ્ધ ગામડા , આપની કુળદેવી , ગોત્ર વંશાવલી વગેરેથી માહિતગાર કરવા , આપણી ભાષામાં બોલવાનો આગ્રહ , આપણા તીર્થધામ અનાવલની મુલાકાત લેવી .
હમણાં જે લગ્ન પહેલા “Pre wedding shoot “ ગામની વાડી ગામના ઘરમાં કરવું .
ગામની જમીન કે ઘર વેચવું હોય તો અનાવિલને જ વેચવું .
ગામના વિશિષ્ટ સ્થળોને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવું .
દરેક ગામ એની વિશેષતાઓ તેમજ ઈતિહાસ , વ્યક્તિ વિશેષ વગેરે માટે પુસ્તિકા બહાર પાડે અને “You tube “ વિડિયો બનાવે .
‘અનાવિલ ગામડાઓ અને સંસ્કૃતિ “ પ્રદર્શિત કરતું એક “Museum” જેમાં “Artificial Intelligence” ની મદદથી ગામડાંની સંસ્કૃતિના દર્શન થાય જેમકે ગામના ઘર, વાડી ,ચોક, ઓટલા , બળદગાડી , ખીદગાડું , પેટારા , ચૂલા વગેરે ના ચિત્રો , શિલ્પ અને short film બતાવી શકે .
વાર્ષિક મેળાવડો ગામમાં જ રાખવો એમાં કેરીની ઋતુમાં “Food Festival “ રાખવો અને પંગતમાં પતરાળી અને દળિયામાં લાપસી , ભજીયા , રસ , વાલની દાળનું શાક વગેરેની મિજબાની માણવી .
એક મોટું “અનાવિલ સંકૂલ “ જેમાં ફક્ત અનાવિલોના જ ઘર હોય અથવા બની શકે તો એક આખું મોટું અનાવિલોનું ગામ હોય જેમાં આધુનિક બધી જ સગવડ હોય જેથી યુવા વર્ગ પણ ગામમાં રહેવા પ્રેરાય .

