મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .
અનાવિલો' વિશે - ચંદ્રકાંત બક્ષી
બક્ષી બાબુ લખે છે..
અનાવિલ ક્યારેય માગવા ન નીકળે
મુંબઈમાં ઘરની બાલકની બહાર વરસાદ પડતો જુએ તો હજુ પણ અનાવલાને એમની વાડી યાદ આવી જાય કે, ચીકુ મોટાં થઈ ગયાં હશે. અથવા હાફુસ મહોરી હશે. સ્વભાવે જિદ્દી એવા અનાવલા એક ડાળખી બચાવવા માટે પચાસ ઝાડ વેચતા પણ ન ખંચકાય
અનાવિલ : (સંસ્કૃત શબ્દ) = દોષરહિત, સ્વચ્છ, એ નામની એક જ્ઞાતિ (સાર્થ ગુજરાતી જોડણીકોશ)
અનાવલા : આ જાતિ મસ્તાન અને ભાથેલાના નામે પણ ઓળખાય છે. એમની વસતી ૪૦૦૦૦ ની ઉપર છે. સુરત, વલસાડ જિલ્લામાં અને પાસેના વડોદરા વિસ્તારમાં એ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના અનાવિલો શ્રેષ્ઠ ખેડૂતો છે. અનાવલા નામ અનાવલ પરથી આવ્યું છે, જે સુરતથી ચાળીસેક માઈલ દૂર આવેલું ગાયકવાડી ઉનાઈ ગામ છે અને ત્યાંના ગરમ પાણીના ઝરા મશહૂર છે. મસ્તાન અને ભાથેલાની ઉત્પત્તિ વિશે સ્પષ્ટતા નથી. (ગેઝેટિયર ઑફ બૉમ્બે પ્રેસિડન્સી, પુસ્તક 9, ભાગ 1, પ્રકાશન વર્ષ 1901).
અનાવિલ દોષરહિત છે, સ્વચ્છ છે, મસ્તાન છે, ભાથેલા છે, મોરારજી રણછોડજી દેસાઈના જ્ઞાતિભાઈઓ છે, અનાવિલ માથાભારે કોમ છે. અનાવિલ એંટીલા છે, અનાવલાની જબાનને મિજાગરો ની મલે, ચારે બાજુ ફરે, એની ભાષા કરાડાફાડ, ભેજાના ફાટેલા, ભેજાખોર, એનો તોર હોય. બોલવામાં આખાબોલા, લાંઠ, ડાંડાઈ ખરી, જિદ્દી પણ ખરા - એવા જિદ્દી કે ખુવાર થઈ જાય. ‘હામે શિંગડાં ભેરવે.’ ‘ગમે તેને ધોધ પણ ગણે’ (મતલબ કે એ ભલે ધોવાઈ જતો) : તળેઉપર કરે.
જુદી તરી આવે એવી આ એમની કેટલીય વિશિષ્ટતાઓ, એમની અનાવિલ ભાષામાં! અન્ય ગુજરાતીઓને કેટલીક વાર અનાવિલો સમજાતા નથી, પણ દક્ષિણ ગુજરાતના લોકોને એ બરાબર સમજાય છે.
અનાવિલ સુરત , વલસાડ તરફના છે. મુંબઈથી પાસેમાં પાસે રહેતા ગુજરાતીઓ અને મુંબઈમાં સૌથી મોડા આવેલા ગુજરાતીઓ! દમણગંગાના વલવાડા ગામથી સુરત સુધી અથવા વાપીથી તાપી એ અનાવિલ દેશની ભૂગોળ. અનાવલ નામનું ગામ બીલીમોરાથી ચાળીસેક કિલોમીટર દૂર છે. એમની માતા અંબામાતા
ભાષા બોલાતી વખતે થોડી ખાસિયતો ધ્યાન ખેંચે એવી છે. ‘શ’ ને ‘સ’ બોલે પણ ‘સ’ ને પાછો ‘હ’ બોલે! ‘શું’ને ‘સું’ કહે અને વલસાડને ‘વલહાડ’ કરી નાખે. ‘પડ્યા છે’ એ બોલાય ‘પઈડા છે!’ કેટલાક પ્રદેશોમાં ‘ત’ને ‘ટ’ અને ‘થ’ને ‘ઠ’ પણ બોલાય.
ને તમે ક્યાંય કંય ની બોલતા!
હું બોલો? આમાં તમારું કેથે ની ચાલે!
ધરતીનો જબરો પ્યાર, લગભગ પાટીદાર જેવો જ, પાટીદાર જેવા અનાવિલ માથાભારે ગણાય છે, પણ આશ્ચર્યની વાત એ છે કે મુંબઈ માટે એમને બહુ મોડી માયા જાગી. આને માટેનો અનાવિલ તર્ક એમની દૃષ્ટિએ જ જોવા જેવો છે: શાહુકાર નાખે તેના સવાયા કરે, દોઢાબમણાં કરે, પણ એકના હજાર કરીને દેનારી ધરતી જેવો શાહુકાર બીજો જોયો? (એક દાણો વાવો અને હજાર લણો એ અર્થમાં) આવી માની ચાકરી કરવી છોડીને અભાગિયો હોય તે જ મુંબઈ જાય, કાં વરણાગિયો જાય.
અને અનાવિલ આજે પણ મુંબઈમાં બેઠો હોય તોય ધરતીનો સાદ ભૂલે નહીં. હવે અનાવિલ મુંબઈ જ નહીં, પણ પૃથ્વી પર ઘણી જગ્યાએ ફેલાઈ ચૂક્યા છે, વિવિધ ક્ષેત્રોમાં આજે દેસાઈ એક નાયક ડંકો વગાડે છે. એક અનાવિલ દેસાઈ ભારતના સન્માનીય પ્રધાન મંત્રી પણ બની ચૂક્યા છે. એ દરિયાકિનારાની ખારાશ અને એ આંબાનાં વૃક્ષોની ખુશબૂ અને એ ચોખાના રોટલાનો સ્વાદ અને એ જબાનની ખટમિઠ્ઠી તાજગી આજે પણ અનાવિલ અસ્તિત્વમાંથી ખસ્યા નથી.
પ્રોફેસર મહાદેવ દેસાઈ અર્થશાસ્ત્રી છે, બિઝનેસની થિયરી વિષે ચર્ચા કરે છે. ઈકોનોમિક્સના ‘ઝીરો ગ્રોથ’ પર પિસ્તાલીસ મિનિટ ભાષણ આપી શકે છે. યુવાન છોકરીઓ થર્ડ યર કૉમર્સના વર્ગમાં આંખો ફાડીને આંખોથી સાંભળતી હોય એટલી તન્મય થઈ જાય છે! પણ એ કોમનરૂમમાં આવીને પગ ફેલાવીને નેસ-કાફેવાળી કૉફી પીતાં પોતાની જાતિ વિષે વાત શરૂ કરે ત્યારે તમે એમના ખૂબસૂરત ચહેરા પર અસલી રંગ ઊભરતો જોઈ શકો છો, એ કહે છે એક ડાળી બચાવવા માટે અમે પચાસ ઝાડ વેચાવી દઈએ! છોડીએ નહીં. લડીએ તો જ લોહી ગરમ રહે, તબિયત સારી રહે. જેવું વેકેશન પડ્યું કે સીધા.
°°ગામ,